નખત્રાણાના રોહા ગામે મોરના કમોતનો સિલસિલો જારીઃ આજે વધુ 3ના મોતથી દોડધામ
રાષ્ટ્રીય પંખી મોરની વસાહત માટે પંકાયેલા નખત્રાણા તાલુકાના રોહા ગામના સીમાડે આજે બે મોર અને એક ઢેલના મૃતદેહ મળી આવતાં વનતંત્ર સ્થળ પર દોડી ગયું છે.
એક મોરનો મૃતદેહ વીજટાવર પર ફસાયેલી હાલતમાં છે. જ્યારે, એક મોરના પીંછા અને અમુક અંગ ખાડો કરીને દાટેલી હાલતમાં જોવા મળ્યાં છે. એક ઢેલનો મૃતદેહ વીજલાઈન નીચે જમીન પર પડેલો છે.
પવનચક્કીની વીજલાઈનોના કારણે મોરના થઈ રહેલાં અપમૃત્યુ સામે સતત અવાજ ઉઠાવી રહેલાં દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરીએ આક્ષેપ કર્યો છે કે પવનચક્કી કંપનીઓના લીધે પર્યાવરણ અને સજીવસૃષ્ટિનું નખ્ખોદ નીકળી રહ્યું છે. ઘટનાસ્થળે વનતંત્રના અધિકારી ચૌધરી, મહિલા સરપંચ સહિતનો લોકોએ પણ દોડી ગયાં છે. વન અધિકારી ચૌધરીએ જણાવ્યું કે દાટેલી હાલતમાં મળેલા મોરના અવશેષો જોતાં તેનો શિકાર થયો હોવાની શંકા છે. ત્રણેય મોર અને ઢેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રોહામાં પવનચક્કીઓની વીજલાઈનના કારણે કેટલાંક મોરના કમોત થતાં પર્યાવરણપ્રેમીઓ-જીવદયા પ્રેમીઓએ ભારે રોષ દર્શાવ્યો હતો. જેના પગલે રોહાના બર્ડ ફ્લાઈંગ ઝોનમાંથી પસાર થતી વીજલાઈનો અંડર ગ્રાઉન્ડ કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. આ ઘટના ગામના બર્ડ ફ્લાઈંગ ઝોનથી દૂર આવેલા અન્ય સીમાડે બની છે. મહેશ્વરીએ કલેક્ટરના આદેશ છતાં કશું કામ નથી થયું તેવો આરોપ કરી પવનચક્કીની વીજલાઈનોના લીધે અબોલ પંખીના મોત નીપજી રહ્યાં હોવાનું જણાવ્યું છે. તેમણે આ વીજલાઈનો અને થાંભલાઓ દૂર ના કરાય તો ફરી સોમવારથી કલેક્ટર કચેરી આગળ અનશન છેડવા ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, વનઅધિકારી ચૌધરીએ જણાવ્યું કે, બર્ડ ફ્લાઈંગ ઝોનમાંથી પસાર થતી વીજલાઈનોમાં હાલ વીજપ્રવહન બંધ હોવાનું અને ટૂંક સમયમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગની કામગીરી શરૂ કરાશે તેવી કંપનીઓએ ખાત્રી આપી છે
રીપોર્ટ અસઞર આઈ માંજોઠી કચ્છ
Comments
Post a Comment